ખેડૂતોને ખેતર પર સોલાર પેનલ લગાવવા મળશે 60% સરકારી સહાય, ડીઝલ અને વીજળીના ખર્ચમાંથી મળશે મુક્તિ

05-Jul-2021

ખેડૂતોને (Farmers) ખેતરોમાં સિંચાઈ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક વધુ અને ક્યારેક ઓછા વરસાદથી ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે. ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા ‘કુસુમ યોજના’ (Kusum Yojana) શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સૌર ઉર્જા ઉપકરણો અને પમ્પ લગાવીને ખેતરમાં સિંચાઈ કરી શકે છે.

ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. આ પૈકીની એક PM કુસુમ યોજના છે. પીએમ કુસુમ યોજનાની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. ત્યારબાદ બજેટ 2020 માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આ યોજનાનું વિસ્તરણ કર્યુ છે.


સોલાર પેનલ લગાવી કમાણી કરી શકાય છે
આ યોજનાની સહાયથી ખેડૂત તેની જમીન પર સોલાર પેનલ લગાવીને વીજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. આ સાથે જ વધારાની વીજળી પેદા કરી ગ્રીડ પર મોકલી અને કમાણી પણ કરી શકે છે.

‘કુસુમ યોજના’નાં ત્રણ ભાગ છે. કમ્પોનન્ટ-એ, બી અને સી. ઘટક-એમાં ખેડૂતોને તેમની જમીન પર પોતાનો સોલર પ્લાન્ટ લગાવો પડશે. ઘટક બી અને સીમાં, ખેડૂતોના ઘરો અને તેમના ખેતરોમાં પમ્પ લગાવવાના હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનો છે.

સંયુક્ત સચિવ અમિતેશ કુમાર કહે છે કે સરકાર તરફથી સૌર પ્લાન્ટ માટેની યોજના છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 30 ટકા સબસિડી પણ આપવામાં આવશે. જો રાજ્ય સરકાર ઈચ્છતી હોય તો, બાકીના નાણાંનું રોકાણ કરીને પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે અથવા તેઓ ખાનગી વિકાસકર્તાને મધ્યમાં લાવીને પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે.

ડીઝલની બચત થશે
જો ખેડૂત સોલાર પ્લાન્ટ પોતાના ખેતર પર લગાવશે અને પિયત માટેના ડીઝલ પંપને સોલાર પંપમાં બદલી નાખશે, તો ડીઝલના ખર્ચમાં ઘટાડો થશે. ખર્ચમાં ખેડૂતોને ઘટાડો થવાથી ઈનપુટ કોસ્ટ પણ ઓછી થશે અને નફો વધશે.

આ યોજનાની વિશેષ બાબત એ છે કે સૌર પ્લાન્ટ સ્થાપવા માટે તમારે માત્ર 10 ટકા રકમ જ રોકાણ કરવાની રહેશે. બાકીના 90 ટકા ખર્ચ સરકાર અને બેંક કરશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સબસિડી પર સોલર પેનલ આપવામાં આવે છે. રાજ્ય સરકાર સોલાર પેનલ્સ પર 60 ટકા સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલે છે. સાથે જ બેંક દ્વારા 30 ટકા સબસિડી આપવામાં આવે છે.

આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી https://mnre.gov.in/ પરથી જાણી શકાય છે.

Author : Gujaratenews