અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસનો બાળકમાં પહેલો કેસ, બાળકનું કરાયું ઓપરેશન, ઇન્જેકશનની ભારે અછત

22-May-2021

રાજ્યભરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસનો બાળકોમાં પહેલો કેસ સામે આવ્યો છે. 13 વર્ષના બાળકને મ્યુકોરમાઇક્રોસિસનુ ઓપરેશન કરવામાં આવ્યુ છે. બાળકને મ્યુકોરમાઇક્રોસિસ પોઝિટિવ આવતા ઓપરેશન કરાયું છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન કરાયું છે. આ 13 વર્ષનો બાળક અગાઉ કોરોનાથી સંક્રમિત થયો હતો. અને, કોરોનાના કારણે બાળકના માતાનું પણ મોત થઇ ચૂક્યું છે.કેન્દ્ર સરકારે કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી છે. આ મહામારી ધીરેધીરે બાળકોમાં પણ પગપેસારો કરી રહી છે.

કોરોનાના ઈલાજ દરમિયાન ડાયાબિટીસ હોય તેવા દર્દીમાં આ ફંગસ નાકથી પ્રવેશ કરી શરીરની અંદર સડો ફેલાવે છે. મ્યુકરમાઈકોસિસ માટે એમ્ફોટેરેસિન-B ઈન્જેક્શન છે, પરંતુ એ ઉપલબ્ધ નથી અને તેની ભારે અછત છે. આ મહામારીમાં દર્દીના શરીરનાં અંગો ધડાધડ સડવા લાગે છે. અને, છેવટે તેનું દોઢથી બે કલાક સુધી ઓપરેશન ચાલે છે અને સડાવાળા ભાગને ફટાફટ કાઢવા પડે છે.

મ્યુકોરમાઈકોસિસના વધતા કહેર વચ્ચે ઈન્જેક્શનની અછતથી સંકટ વધુ ઘેરાયુ છે. એકલા અમદાવાદ સિવિલમાં આ રોગથી 26 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સિવિલમાં રોજના 2 દર્દીનાં મોત થઈ રહ્યા છે. મ્યુકોરની સારવાર માટે વપરાતા એમ્ફોટોરિસિન-બી ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે..જેથી દર્દીઓની સારવાર યોગ્ય રીતે થઈ શકતી નથી. આ સ્થિતિમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત દયનિય બની ગઈ છે.

અમદાવાદ સિવિલમાં પણ ઈન્જેક્શનની લાંબા સમયથી અછત વર્તાઈ રહી છે. એક અંદાજ મુજબ રોજના એક હજાર જેટલા ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે. જેની સામે માંડ 100 જેટલા ઈન્જેક્શન મળી રહ્યા છે. આ સંજોગોમાં સારવાર કઈ રીતે કરવી તે તબીબો માટે મોટો સવાલ બની ગયો છે..એક દર્દીને રોજના 6 ઈન્જેક્શનની જરૂર હોય છે પણ તેની સામે 2થી વધુ ઈન્જેક્શન આપી શકાતા નથી. દર્દીઓના સગાઓમાં ઈન્જેક્શનની અછતને લઈ ભારે ઉચાટ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના સ્વજનો ઈન્જેક્શન માટે આમ તેમ ભટકી રહ્યા છે. પરંતુ ક્યાંય ઈન્જેક્શન મળતા નથી.

અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવસેને દિવસે આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે.અમદાવાદમાં હાલમાં 481 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે..જે પૈકી સિવિલ હોસ્પિટલમાં 371 દર્દી જ્યારે ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ સારવાર હેઠળ છે.1200 બેડની હોસ્પિટલમાં 50 દર્દી સારવાર લઈ રહ્યા છે.સુરતમાં મ્યુકોર માઈસિસના દર્દીઓ વધી રહ્યા છે. સુરતમાં હાલમાં 223 દર્દી નોંધાયા છે. જૈ પૈકી સિવિલમાં 116 જ્યારે સ્મીમેરમાં 107 દર્દી સારવાર લઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધી 12 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 10 નવા દર્દી નોંધાયા છે.

Author : Gujaratenews