UKના નવી વિઝા નિયમોથી ગુજરાતીઓમાં ચિંતા વધી: ઇંગ્લેન્ડમાં વસતા લોકોને પણ થશે અસર, ભાસ્કરે ઇમિગ્રેશન વિશેષજ્ઞનો અભિપ્રાય મેળવ્યો
29-May-2025
અત્યારસુધી એવું થતું હતું કે નવા વિઝા નિયમો માત્ર નવી અરજી કરનારાઓ માટે લાગુ પડતા હતા. જેમણે પહેલેથી UKમાં વસવાટ શરૂ કર્યો હતો, તેમને જૂના નિયમો લાગુ પડતા હતા. હવે નવી વ્યવસ્થામાં એ બદલાવ આવ્યો છે કે નવા નિયમો હવે નવા અને હાલના, બંને પ્રકારના વસવાટ કરનારાઓ પર લાગુ થશે. એટલે લોકોમાં ઊહાપોહ અને ચિંતા જોવા મળી રહી છે કે પહેલાં શું હતું અને હવે શું બદલાશે.
નવા નિયમો અને તેના અસરકારક ફેરફારોને સમજવા દિવ્ય ભાસ્કરે ઇમિગ્રેશન નિષ્ણાતો તથા UK Gujarati સમુદાયના અગ્રણીઓ સાથે વાતચીત કરી.
વિશાંગ શાહ, જે વેસ્ટ એન્ડ કન્સલ્ટન્ટના માલિક છે અને વિઝા કન્સલ્ટન્ટ તરીકે લંડનમાં સેવાઓ આપે છે, તેઓનું કહેવું છે કે હાલ UKની ઇમિગ્રેશન પોલિસીમાં મોટાપાયે ફેરફાર થઈ રહ્યા છે. તેઓ કહે છે, “મને રોજ ઘણા ક્લાયન્ટના ફોન અને મેસેજ આવે છે કે શું ચેન્જિસ આવી રહી છે? અમારા પર શું અસર થશે?”
નવા નિયમોનું સ્પષ્ટીકરણ આપતાં તેમણે જણાવ્યું:
હાલના નિયમ મુજબ વર્ક વિઝા ધારકો પાંચ વર્ષ UKમાં રહી છઠ્ઠા વર્ષે પર્મેનન્ટ રેસિડેન્સી (PR) માટે લાયક બને છે. માસ્ટર્સના સ્ટુડન્ટને અભ્યાસ પછી 2 વર્ષનો પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા મળે છે. પરંતુ નવા નિયમ અનુસાર PR માટે હવે 10 વર્ષ રહેવું ફરજિયાત બનશે. ખાસ વાત એ છે કે આ નિયમ ફક્ત નવા અરજદાર માટે નહીં, પણ હાલના રહેવાસીઓ પર પણ લાગુ પડશે. ઉપરાંત, પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની સમયસીમા 24 મહિના પરથી ઘટી 18 મહિના થઈ જશે.
કાંતિભાઈ નાગડા, લંડન સ્થિત સંગત એડવાઇઝ સેન્ટરના સંચાલક છે. તેમનું કહેવું છે કે અગાઉની સરકારના નિયમ મુજબ 5 વર્ષના નિવાસ બાદ પર્મેનન્ટ સ્ટેટસ માટે અરજી કરી શકાતી હતી. હવે નવા નિયમ હેઠળ તે અવધિ 10 વર્ષ કરી દેવામાં આવી છે. દરેક અઢી વર્ષે વિઝા માટે નવી અરજી કરવી પડશે અને તેની સાથે ફી તેમજ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પણ ચૂકવવો પડશે.
વિમલજી ઓડેદરા, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (UK) અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે હાલની સરકારના ગૃહમંત્રી અને વડાપ્રધાન દ્વારા પાર્લામેન્ટમાં નવા ઈમિગ્રેશન સુધારા (વ્હાઇટ પેપર) રજૂ કરીને સુધારાઓ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પહેલાં 5 વર્ષ બાદ આપમેળે સેટલમેન્ટ મળતું હતું, હવે એ અવધિ 10 વર્ષ કરવામાં આવી છે. જોકે, જેમના યોગદાનને ખાસ મહત્વ હોય – જેમ કે ડૉક્ટર, એન્જિનિયર, નર્સ, અથવા AI ક્ષેત્રના નિષ્ણાતો – તેમના માટે ખાસ સેટલમેન્ટ વિઝાની નવી કેટેગરી અમલમાં લાવવામાં આવી છે. તેમજ હવે દરેક ઇમિગ્રેશન રૂટ માટે ઊંડાણપૂર્વકની અંગ્રેજી ભાષાજ્ઞાનની જરૂરિયાત રહેશે, જે પહેલા નરમ હતી.
આ ફેરફારો ટૂંક સમયમાં અમલમાં આવશે.
25-Jun-2025