સુરતમાં સાડા ત્રણ વર્ષ બાદ ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા વખત 3 ઓગસ્ટ 2023ના રોજ કેસ નોંધાયો હતો. ત્યારબાદ હવે ફરીથી કોરોના વળગી પડ્યો છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં કાર્યરત બે મહિલા રેસિડેન્ટ તબીબ પોઝિટિવ
આ કારણે પાલિકા આરોગ્ય વિભાગે ફરીથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ કાર્યરત કર્યા છે. શરદી, ઉધરસ, તાવ, છીંક આવવી અને શરીર દુઃખવા જેવા લક્ષણો જણાય તો તરત તબીબની સલાહ લેવાની તાકીદ કરવામાં આવી છે, કારણ કે એ લક્ષણો કોરોનાના હોઈ શકે છે.
પોઝિટિવ આવેલાં બંને કેસમાં એક 27 વર્ષની તબીબ છે, જેઓ 17 મેના રોજ વિશાખાપટ્ટનમથી પરત ફર્યા હતા અને બીજી 25 વર્ષની તબીબ વેસુ વિસ્તારની રહેવાસી છે. બંનેને શરદી અને ફેફસાં સંબંધિત તકલીફ જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમનું રિપોર્ટ પોઝિટિવ આવ્યું.
તેમને તાત્કાલિક આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી એકની તબિયત સુધરી જતા રજા આપવામાં આવી છે અને તેમને ઘરમાં ક્વોરોન્ટાઇન રહેવા સૂચના અપાઈ છે. બંને તબીબે કોવિડ-19ના બંને ડોઝ લીધા છે. વધુ માહિતી માટે તેમનાં સેમ્પલ જીનોઇમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર GBRC મોકલવામાં આવ્યા છે.
જોકે હાલમાં રાજ્ય સરકારે કોઈ નવી ગાઈડલાઇન જાહેર નથી કરી, પરંતુ આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો નોંધાતા લોકોએ ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જોઈએ.
30-May-2025