Statue Of Unity : રિલાયન્સ કંપની હવે હોટલ, રિસોર્ટસ, અને સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે હોટલ અને રિસોર્ટ બનાવવા જઈ રહી છે. એટલુ જ નહિ, નર્મદા કાંઠે હાઉસ બોટની પણ સુવિધા કરાવવામાં આવશે. આ જાહેરાત સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લામાં આવેલું ભારતનું સૌથી ઉંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ ગુજરાતનું હોટ ફેવરિટ જોવાલાયક સ્થળ છે. તેથી જ રીતે ગુજરાત સરકાર અહીં વિકાસમાં ખાસ ધ્યાન રાખી રહી છે. અહીં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ માટે એક નવી સુવિધા ઉભી થવા જઈ રહી છે.
અરબોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે હોટલ અને રિસોર્ટસ બનાવવાની તૈયારીમાં લાગ્યું છે. એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સની નવી કંપની રિલાયન્સ એસઓયુ (Reliance SOU) હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરશે અને હોટલ, રિસોર્ટસ અને સર્વિસ એપાર્ટમેન્ટમાં ક્ષેત્રે કામ કરશે.
ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 182 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક મેઝ ગાર્ડન મિયાવાંકી વન અને હાઉસબોટ સેવા શરૂ કરાવી હતી. આ સુવિધાઓમાં ઓછા સમયમાં રહેવા માટે સારી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કંપની હાઉસબોટ પર રોકાવાની વ્યવસ્થા પણ કરવાનું વિચારી રહી છે.
સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં રિલાયન્સે જણાવ્યું કે, વાણિજ્યિક સંપત્તિઓને વિકસાવવાના હેતુથી રિલાયન્સ એસઓયુ નામની એક પૂર્ણ સ્વામિત્વ વાળી સહાયક કંપની સામેલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપની ઈન્ડિયન હોટલ્સ કંપની પહેલાથી જ સરદાર સરોવર નર્મદા નિગમની સાથે કરારમાં છે. કહેવાયું છે કે, તેની બે વિવાંતા અને જિંજર લોન્ચ કરવાની યોજના ચાલી રહી છે.
25-Jun-2025