રાજ્ય સ્વાગતમાં રજૂ થયેલી ૧૨ અને જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની મળીને જૂન મહિના દરમિયાન ૬,૪૪૧ રજૂઆતો મળી
10-Jul-2023
સામાન્ય માનવીની ફરિયાદો, રજૂઆતોનું સંવેદનાપૂર્ણ અભિગમથી ત્વરાએ નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા વહીવટી તંત્રવાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
બિપરજોય વાવાઝોડાની નુકસાનીનો પ્રાથમિક સર્વે ઝડપભેર પૂર્ણ કરવા સૂચના
આવા રજૂઆતકર્તાઓએ પોતાની રાવ-ફરિયાદ લઇને ગાંધીનગર સુધી આવવું જ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમસ્યાનું યોગ્ય નિવારણ થઈ જાય તેવી અપેક્ષા તેમણે સ્વાગત ઓનલાઇનના રાજ્યકક્ષાના સ્વાગત દરમ્યાન વ્યક્ત કરી હતી.
નાગરિકો, પ્રજાવર્ગોની રજૂઆતો, ફરિયાદોનો ટૅક્નોલોજીના માધ્યમથી ઉકેલ લાવવા માટે સ્વાગત ઓનલાઇનના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારોને પ્રત્યક્ષ સાંભળ્યા હતા. આ કાર્યક્રમમાં નવનિયુક્ત સનદી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની કામગીરી નિહાળી હતી.
સહકારી મંડળીઓ, ગેરકાયદે દબાણ વગેરેની સમસ્યાનું ત્વરાએ સમાધાન થાય તે માટેના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો સહિત જે જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર પહોંચી છે ત્યાં થયેલી નુકસાનીનો પ્રાથમિક સર્વે ઝડપભેર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રાજ્ય સ્વાગતમાં રજૂ થયેલી ૧૨ અને જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની મળીને જૂન મહિના દરમિયાન ૬,૪૪૧ રજૂઆતો મળી હતી તે પૈકીની ૫,૫૨૬ રજૂઆતોનો સંબંધિત તંત્રવાહકો દ્વારા નિકાલ કરી દેવાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
25-Jun-2025