નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ૮ રાજકીય પક્ષોના ૧૪ નેતાઓ સાથે meeting છે ત્યાં સમગ્ર દેશના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલમ ૩૭૦ રદ થયા બાદ કાશ્મીરમાં પ્રવર્તી રહેલી વિસંગતતાઓ અને વિસ્ફોટક સ્થિતિ હવે કાબુમાં આવી ગઈ છે. આ સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસ કાર્યોની ઝડપ વધે તથા લોકશાહીની કામગીરીઓમાં વધારો થાય તે માટે વડા પ્રધાને રાજ્યના નેતાઓના ડેલિગેશનને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. જાણકારોના મતે પીએમએ આશા વ્યક્ત કરી છે કે, જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન બાદ રાજ્યમાં જે સ્થિતિ સર્જાઈ છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે ત્યારે વિકાસ કાર્યો આગળ વધારવામાં આવે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે આ બેઠકમાં માત્ર જમ્મુ-કાશ્મીર વિશે જ ચર્ચા કરવામાં આવશે. કલમ ૩૭૦ હટાવવા અંગે પણ આ બેઠકમાં કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.રાજ્યમાં આગામી સમયમાં શું કરી શકાય અને કરવું જોઈએ તેને જ પ્રાધાન્ય અપાશે. પાકિસ્તાન સાથે અથવા તો પાકિસ્તાન વિશે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં.
નેતાઓ દિલ્હીમાં પણ રાજ્યમાં સ્થિતિ તંગ
કાશ્મીરના દિગ્ગજ રાજકીય નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ગુરુવારે સવારે બેઠક યોજવાની છે પણ કાશ્મીરમાં સ્થિતિ તંગ છે. અહીંયા રાજકીય ગરમાટા વચ્ચે હિંસક ઘટના ન બને તે માટે પોલીસ અને સૈન્યનો બંદોબસ્ત વધારાયો છે. રાજ્યમાં ૪૮ કલાકનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા હાલ પૂરતી સસ્પેન્ડ કરવામાં આવી છે.
25-Jun-2025