યસ બેંક કેસ:૨૪૩૫ કરોડની બેંક છેતરપિંડી બદલ સીબીઆઈએ ગૌતમ થાપર વિરુદ્ધ કેસ નોંધ્યો

25-Jun-2021

નવી દિલ્હી:સીબીઆઇએ સીજી પાવર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશનના પૂર્વ ચેરમેન ગૌતમ થાપર વિરુદ્ધ યસ બેંક અને અન્ય બેંકોમાં ૨૪૩૫ કરોડ રૃપિયાની છેતરપિંડી બદલ નવો કેસ દાખલ કરી છ સ્થળોએ દરોડા પાડયા છે. ઉલ્લેખનીય છે કે અન્ય કેસોમાં અગાઉથી જ થાપર વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. 

સીજી પાવર અને ઇન્ડસ્ટ્રીલ સોલ્યુશન અગાઉ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ તરીકે ઓળખાતી હતી. સીબીઆઇએ મુંબઇ, દિલ્હી અને ગુડગાંવમાં દરોડા પાડયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અગાઉ થાપર વિરુદ્ધ ૪૬૬ કરોડ રૃપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

બેંક છેતરપિંડી અને ભ્રષ્ટાચાર બદલ સીબીઆઇએ થાપર વિરુદ્ધ અનેક એફઆઇઆર દાખલ કરી છે. આજે દાખલ કરવામાં આવેલો કેસ એસબીઆઇએ દાખલ કરેલી ફરિયાદને આધારે દાખલ કરવામાં આવ્યો છે. એસબીઆઇએ યસ બેંક સહિતની અન્ય ૧૧ બેંકોના જૂથ વતી આ ફરિયાદ દાખલ કરી હતી. 

થાપર ઉપરાંત સીબીઆઇઅ સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન(અગાઉની ક્રોમ્પ્ટન ગ્રીવ્સ લિ.), તત્કાલીન ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડાયરેક્ટર કે એન નીલકાંત, એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર માધવ આચાર્ય, ડાયરેક્ટર બી હરિહરન, નોન એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ઓમકાર ગોસ્વામાી અને સીએફઓ વેંકટેશ રામમૂર્તિનો સમાવેશ થાય છે. 

સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આરોપીઓએ એસબીઆઇ અને બેંક ઓફ મહારાષ્ટ્ર, એક્સિસ બેંક, યસ બેંક, કોર્પોરેશન બેંક, બાર્કલેઝ બેંક, ઇન્ડસઇન્ડ બેંક સહિતની બેંકોના જૂથ સાથે છેતરપિંડી આચરી હતી. 

 

સીબીઆઇએ વધુમાં આરોપ મૂક્યો છે કે આરોપીઓએ ૨૦૧૫થી ૨૦૧૯ની વચ્ચે બેંક ફંડનું ડાયવર્ઝન કરી બેંકો સાથે છેતરપિંડી આચરી હતી.

Author : Gujaratenews