સુરતમાં ટ્યુશનમાં જવા નીકળેલાં ધો.1ના વિદ્યાર્થીની લાશ અગાસી પરના પાણીના ટાંકામાંથી મળી

22-Apr-2022

સુરતમાં એક પછી એક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, વધુ એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં પહેલા ધોરણમાં ભણતા છ વર્ષના વિદ્યાર્થીની લાશ ગોડાદરા વિસ્તારમાંથી બુધવારે મળી આવી છે. જે બાળકની મોત થયું છે તેનું અગાઉ અપહરણ કરવામાં આવ્યું હોવાની પણ ફરિયાદ નોંધાવવામાં આવીછે. સ્મિત પટેલ નામનો માત્ર ૬ વર્ષનો છોકરો મંગળવારે પોતાના ઘરની નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસમાં જવા માટે નીકળ્યો પછી ગુમ થઈ ગયો હતો. તે મહર્ષિ આસ્તિક સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ૩૩ વર્ષના સ્મિતના પિતા વિષ્ણુ પટેલ ગોડાદરામાં આવેલી ધીરજ નાગર સોસાયટીમાં પત્ની નયના સાથે રહે છે. અને તેઓ પ્રાઈવેટ ફર્મમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. મંગળવારે સ્મિત ધરેથી લગભગ ૪.૧૫ વાગ્યે એની જ સોસાયટીમાં આવેલા ટ્યુશન ક્લાસમાં જવા માટે નીકળ્યો પરંતુ પરત નહોતો આવ્યો. નયનાએ દીકરો ટ્યુશનથી ઘરે પાછો ના આવતા તેની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન તેમને ખબર પડી કે તે ટ્યુશન આવ્યો જ નથી, આ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા અને આસપાસમાં તેની તપાસ કરી હતી. આ પછી નયનાએ પોતાના પતિને આ વિશે જાણ કરી હતી અને જે પછી બન્નેએ પોતાના દીકરાને શોધવા માટેના પ્રયાસો કર્યા હતા. તમામ પ્રયાસો છતાં દીકરો ના મળ્યા પછી પિતા વિષ્ણુ પટેલે આ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દીકરાનું અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પણ તપાસ દરમિયાન દીકરાની ભાળ મળી નહોતી. ગોડાદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એડી ગામિતે જણાવ્યું કે, જ્યારે પોલીસની એક ટીમ સ્મિતની તપાસ કરવા માટે તેના ઘરની બાજુમાં આવેલા ધાબા પર ગઈ ત્યારે તેની લાશ એક પાણીની ટાંકીમાંથી મળી આવી હતી." પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સ્મિત ટ્યુશન જવા નહોતો માગતો પણ તેની માતાએ દબાણ કર્યા બાદ તે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળી ગયો હતો, પરંતુ તે ટ્યુશન ગયો તે નહોતો. પોલીસ ઈન્સ્પેક્ટર એડી ગામિતે કહ્યું છે કે, "હાલ તો આ ઘટના અકસ્માતે બની હોવાનું લાગી રહ્યું છે પરંતુ અલગ-અલગ એંગલથી કેસની વધારે તપાસ કરવામાં આવશે."

Author : Gujaratenews