ઘર ખરીદનારાઓને રાહત આપતા મોટા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે, વાંચો કોર્ટનો ચુકાદો

06-Nov-2021

SURAT : ઘર ખરીદનારાઓને (Homebuyers) રાહત આપતા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. NCDRC એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને કહ્યું કે જો ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય તો બિલ્ડર ઘર ખરીદનારાઓને કબજો લેવા કોઈપણ જાતનું દબાણ કરી શકે નહીં. જ્યાં સુધી ફ્લેટ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) આપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ બિલ્ડર પઝેશન માટે દબાણ કરી શકે નહીં. આ નિર્ણયથી હજારો ઘર ખરીદનારા લાખો લોકોને ફાયદો થશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સી વિશ્વનાથ અને રામસુરત રામ મૌર્યની બેન્ચે બેંગલુરુ સ્થિત એક રિયલ એસ્ટેટ કંપનીને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો છે. બેન્ચે ડેવલપરને ઘર ખરીદનારને વ્યાજ સહિત રૂ. 3.5 કરોડ પરત કરવા જણાવી દીધું હતું. વાસ્તવમાં ઘર ખરીદનારએ એક વિલા ખરીદ્યો હતો. પરંતુ સ્થાનિક સત્તાધિકારી તરફથી પૂર્ણતા પ્રમાણપત્રના અભાવે તેણે કબજો લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેણે NCDRCને તેની ફરિયાદ કરી હતી 

2 વર્ષ મોડું બાંધકામ: તપાસમાં પેનલને જાણવા મળ્યું કે તે વિલાનું બાંધકામ બે વર્ષ મોડું ચાલી રહ્યું હતું. આમ છતાં બાંધકામ પૂર્ણ થઈ શક્યું નથી. જોકે, બિલ્ડર ઇચ્છતો હતો કે ઘર ખરીદનાર પેપર પર સહી કરે જેમાં લખેલું હોય કે મકાનનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે. બેયરે આમ કરવાની ના પાડી. બિલ્ડરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે લેખિત કાગળો પર સહી નહીં કરે ત્યાં સુધી તેને પઝેશન નહીં મળે. આ વિવાદો પછી ઘર ખરીદનારએ NCDRCનો સંપર્ક કર્યો હતો.

બેયરે સમગ્ર EMI સમયસર ચૂકવી દીધી છે: સુમન કુમાર ઝા અને પ્રતિભા ઝાએ વર્ષ 2013માં 3900 સ્ક્વેર ફૂટનો વિલા બુક કરાવ્યો હતો. આ વિલાનું નિર્માણ મંત્રી ટેક્નોલોજી કન્સલ્ટેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવનાર હતું. બિલ્ડરે વચન આપ્યું હતું કે તે 2015 સુધીમાં બાંધકામ પૂર્ણ કરશે અને પઝેશન પણ આપી દેશે. પરંતુ સમયસર આપી શક્યા ના હતા. વિલા ખરીદવાની યોજના મુજબ દંપતીએ સમગ્ર EMI ચૂકવી દીધી છે.

Author : Gujaratenews