મધ્યપ્રદેશના ઉજ્જૈન (Ujjain) માં માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. કેટલાક અજાણ્યા શખ્સોએ કેટલાક રખડતા કૂતરાઓ પર એસિડ ફેંક્યું હતું. આ ઘટનામાં 5 શ્વાન મૃત્યુ પામ્યા હતા. આ બાબતનો ખુલાસો થયા બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. એક અધિકારીએ કહ્યું કે જે લોકો પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે તેઓએ આ હૃદયદ્રાવક ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે નાગઝિરી પોલીસ સ્ટેશનમાં કલમ 428 (પશુઓને મારવું કે પરેશાન કરવું) અને IPC ની અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્દોરના પ્રાણીઓના અધિકારો માટે લડતા એક જૂથે હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો.
5 રખડતા કૂતરાઓના મોઢામાં એસિડ રેડવામાં આવ્યું
પીપલ્સ ફોર એનિમલ્સ ઈન્દોર યુનિટના પ્રમુખ પ્રિયાંશુ જૈને જણાવ્યું હતું કે તેમની હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી કે કેટલાક અજાણ્યા લોકોએ ઉજ્જૈનના નાગઝિરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 રખડતા કૂતરાઓના મોઢામાં એસિડ નાખ્યું છે. તેમણે કહ્યું કે સંસ્થાના સભ્યોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉજ્જૈનના મહાલક્ષ્મી નગરમાં રહેતા બ્રિજરાજ પરિહરે શુક્રવારે સવારે કૂતરાઓને તડપતા જોયા હતા. જે બાદ તેઓ તેમને સારવાર માટે પશુ દવાખાને લઇ ગયા હતા. તેની ખરાબ સ્થિતિને જોતા તેને ઈન્દોર રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. જે બાદ તેણે પીપલ ફોર એનિમલ્સના ઈન્દોર યુનિટને આ ઘટના અંગે જાણ કરી હતી.
આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી
આ ઘટના પર નાગઝિરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર લિવન કુજુરે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ માટે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. જેથી જલદીથી તેમની ધરપકડ કરી શકાય. પ્રાણીઓ સાથેની આ બર્બર ઘટનાની બધે નિંદા થઈ રહી છે. સાથે જ આરોપીને પકડવા માટે પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે.
આપને જણાવી દઈએ કે કોઈ પણ પ્રાણી પર અત્યાચાર ગુજારવો કે તેને મોતને ઘાટ ઉતારી બદલ પશુ ક્રૂરતા અધિનિયમ ધારા (The Prevention of Cruelty to Animals Act, 1960) કલમ 11 અને ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 429 હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ભારતીય સંવિધાન અનુચ્છેદ 5-1(A) મુજબ કોઈ પણ પશુ પ્રેમીને પશુપક્ષીને ભોજન આપતા અવરોધ ઊભો કરે તો પણ ગુનો બને છે. આવા ગુનાઓમાં જો અપરાધ સાબિત થાય તો વધુમાં વધુ 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.
25-Jun-2025