સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છલકાયો: ભાવનગરમાં ઉપરવાસના વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની અતિશય આવક, 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, 17 ગામને એલર્ટ

09-Sep-2021

ગીર સોમનાથ, સુત્રાપાડામાં આભ ફાટ્યું, 9 ઇંચ વરસાદ, અનેક ડેમો છલકાયાં, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ 17 ગામમાં એલર્ટ

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ સતત બીજા વર્ષે પણ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે.

15,340 કયૂસેક પાણીની જાવક

ભાવનગર ફ્લડ કંટ્રોલ પાનવાડીના અધિકારીએ જણાવ્યું હતું કે શેત્રુંજી ડેમ મોડી રાતે 2:10 વાગ્યા આસપાસ 20 દરવાજા અને બાકીના સવારે તમામ 39 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને પગલે તંત્ર દ્વારા 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, નાની-રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 15,340 કયૂસેક પાણીની જાવક થઈ રહી છે.

ગીરસોમનાથમાં બારે મેઘ ખાંગાની સ્થિતિનું નિર્માણ થયું છે. સુત્રાપાડામાં રીતસર આભ ફાટ્યું, અને 9 ઇંચ વરસાદ ખાબક્યો. તો વેરાવળમાં પણ 6 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો તાલાલામાં પણ સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું.

તો વેરાવળના ઇણાજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. તો સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા પ્રાચીતિર્થ ખાતે આવેલું માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું. સાથે જ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ. અને અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ છે. આમ વાદળ ફાટતા ગીરસોમનાથમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જોકે સારા વરસાદને પગલે જિલ્લાના માથેથી દુકાળની સ્થિતિનું સંકટ ટળ્યું છે.

જૂનાગઢમાં ધોધમાર વરસાદ. ગીરના જંગલ અને દાતાર પર્વતના જંગલમાં વધુ વરસાદ પડ્યો. જેના પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. જંગલમાં વરસાદ પડતા ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ખુબજ વેગથી દામોદર કુંડ તરફ વહીં રહ્યું છે.

જૂનાગઢના ભવનાથના રસ્તાઓ પર આમ તો માનવ મહેરામણના દ્રશ્યો જ જોવા મળતા હોય છે. જોકે ભારે વરસાદને પગલે આ રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી. ધોધમાર વરસાદને પગલે ભવનાથની તળેટી પરથી ઝરણા વહેતા થયા અને સર્જાયા નયમરમ્ય દ્રશ્યો. લીલોછમ ગિરનાર પર્વત અને સફેદ દૂધ જેવા પાણીના ઝરણા જાણે કે શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવા મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી છે ત્યારે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. જેથી શેત્રુંજી ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. જેના પગલે તંત્રએ કુલ 17 ગામને એલર્ટ કર્યા છે. જેમાં પાલીતાણાના 5 ગામ રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ તળાજા તાલુકાના 12 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લાના ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ,છતડીયા,ખાખબાઈ,ઉંચેયા,રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ડેમમાં હજુ પણ પાણીની આવક શરૂ જ છે.

સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. ત્યારે આવનારા બે દિવસ પણ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેના પગલે એનડીઆરએફની ટીમ અમરેલી પહોંચી ગઈ છે. NDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ તાલુકામં કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. વરસાદને પગલે કોઈ પણ પરિસ્તિતિને પહોંચી વળવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે.

જામનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. જામનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ. જામનગર જિલ્લાના જોડીયા અને ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ પડતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટના ઉપલેટામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. રાત્રી દરમિયાન પણ સતત વરસાદ વરસ્યો છે. ઉપલેટા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

24 કલાકમાં સીઝનનો 10 ટકા વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારની મોડી રાતથી ભાદરવાનો ભરપૂર વરસાદ વરસવાનો શરૂ થયો છે અને 24 કલાકના સમયગાળામાં ભાવનગર શહેર અને જિલ્લામાં એકથી સાડાત્રણ ઇંચ વરસાદ વરસી જવાથી મૂરઝાઇ રહેલાં કપાસ, મગફળી, તલ, બાજરા સહિતના પાકોને નવજીવન મળ્યું હતું. લાંબા સમય બાદ સારોએવો વરસાદ વરસતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશીના ભાવ જોવા મળ્યા હતા, સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ છે. 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 60 મિમી એટલે કે સીઝનના 10 ટકાથી વધુ વરસાદ વરસી ગયો હતો.

Author : Gujaratenews